સન્માનનું સન્માન વધારવાનો અવસર આજ અમ સૌને સહર્ષ મળ્યો છે. નિરંતર બાળશિક્ષણ,શાળા વિકાસ, સમાજિક ઉત્થાનનો પ્રયત્ન કરવાનું સૌભાગ્ય એક શિક્ષકને મળે છે. સમસ્યા નિવારણનું કાર્ય જેને સતત જીવનપર્યન્તકર્યું છે એવા આપ શ્રી ચંદુભાઇ રામજીભાઇ પ્રજાપતિ એ પોતાના પરિવાર અને ગામનું સન્માન વધાર્યું છે. જેને બાળપણમાં દિવો નથી મળ્યો તેને સમાજમાં શિક્ષણનો પ્રકાશ લઇ જવાનું કાર્ય અથાક કર્યું છે. ઐતિહાસિક નગરી પાટણ અને મા બહુચર જ્યાં બિરાજે છે તેવા બહુચરાજી તથા શંખેશ્વર ધામની નજીક આવેલ પાડલા ગામે આપનો જન્મ થયો. પિતાના ત્રણ સંતાનો પૈકી આપે પ્રાથમિક શિક્ષક તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો.
બાળપણ એ ચંચળ હોય પણ એ ચંચળતા ભાવિની દિશા નક્કી કરે છે. આપ બાળપણથી અભ્યાસમાં અગ્રેસર રહ્યા એવું પાડલા પ્રાથમિક શાળાના શિક્ષકો ગામને તથા પરિવારને જણાવતા રહ્યા. શિક્ષક બાળકનું સન્માન કરે તેવી વિશેષ પળો આપના જીવનમાં રહી છે. સંઘર્ષ વગર સફળતા શક્ય નથી. પ્રાથમિક શિક્ષણ તો ગામની શાળામાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યું પણ ઉચ્ચ શિક્ષણ માટે નજીકમાં કોઇ સંસ્થા નહિ. સંધર્ષોના આ સમયે આપે શિક્ષણને પ્રાધાન્ય આપીને પાડલા ગામથી 14 કિલોમીટર દૂર આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, શંખેશ્વરખાતે દરરોજ ચાલીને અપડાઉન કરીને માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યો. આ સંઘર્ષ લેખે લાગ્યો ત્યાંથી જીવન વિકાસના નવા પથનું સર્જન થયું.
બુનિયાદી શિક્ષણના પાયા પર રચાયેલ ઇમારત પર નવા શિખરોનું નિર્માણ પ્રખર ગાંધીવાદી સંસ્થા લોકભરતી સણોસરા ખાતે થયું. લોકભારતી સણોસરાનાએ સંસ્કારો જીવનપર્યન્ત આપે સાચવ્યા, સંભાળ્યા અને તેનું જન્નત કરી સમૃદ્ધ બનાવ્યા છે. પ્રત્યેક ક્ષણ શિક્ષણ કાજે ઉપયોગ કરવાની શક્તિ બુનિયાદી શિક્ષણ દ્વારા આપે મેળવી છે અને સફળ પણ થયા છો. કેળવાયેલ શિક્ષક સમાજને શ્રેષ્ઠ વિદ્યાર્થી આપે છે. તેમ આપે પરિવારના સંધર્ષને ધ્યાને રાખીને સર્વપ્રથમ 1982 માં અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી સી.એન. વિદ્યાલય ખાતે શિક્ષક તરીકે વ્યવસાયની શરાત કરી. અનેક બાળકોને જીવનપથ માટે આગળ વધવાની પ્રેરણા આપી. ત્યાર બાદ આપે બાપુનગર ખાતે વર્ષોથી શિક્ષણ યજ્ઞ કરતી શ્રીજી વિદ્યાલય ખાતે શિક્ષક તરીકે કાર્ય કર્યું.
આવું વ્યક્તિત્વ ખાલી શ્રમંતોની સેવા કરે એ કુદરતને મંજૂર ન હોય ત્યાં આપને ભાવનગર જિલ્લાના સાવરકૂંડલા તાલુકાની બોરાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપવાનું સૌભાગ્ય આપ્યું. ખડકાળા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર તરીકે સફળ સેવાઓ આપી. 16 મી ડિસેમ્બર 1999 ના રોજ આપની જિલ્લાથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની ઓઢવ ગુજરાતી શાળા 1 માં બદલી થઇ. આ સાથે આપે ઓઢવગુજરાતી શાળા 2, વિવેકાનંદનગર ગુજરાતી શાળા 1 માં શિક્ષક તરીકે કાર્ય કર્યું. આજે આપ ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 થી સેવા નિવૃત્ત થઇ રહ્યા છો.
આપે તમામ શાળામાં બાળકો સાથે ખુબ સુંદર કાર્ય કર્યું છે. સમાજમાં આજે આપની પાસે ભણેલ ડોક્ટર, એન્જીનીયર, નેતા તથા ઉચ્ચ હોદ્દા પર અનેક વિદ્યાર્થીઓ પોતાનું કાર્ય સુંદર રીતે કરી રહ્યા છે. અત્રેની શાળામાં પણ સૌથી સિનિયર શિક્ષક હોવા છતાં પણ આપે તમામ છોડને પાણી આપ્યું છે. સફાઇ કાર્ય કર્યું છે. શાળાના વિકાસ માટેની પ્રત્યેક પ્રવૃત્તિમાં પણ આપે પૂર્ણ સહયોગ આપ્યો છે. રજા કે વેકેશનના દિવસોમાં પણ શાળામાં આવીને આપે સુંદર કાર્ય કરેલ છે.
આપે શ્રેષ્ઠ શિક્ષકની જેમ કાર્ય કર્યું છે જેના પરિણામે આપનો પરિવાર આજે શાંતિ અને સુખમય જીવન જીવી રહ્યો છે. ઈશ્વર આપને નિરામય સ્વાસ્થ્ય અને સુખમય દિર્ઘાયુષ્ય આપે એવી ઇશ્વરને પ્રાર્થના સહ શાળા પરિવાર આપનો ઋણ સ્વીકાર કરી આપને સન્માનપત્ર અર્પણ કરતાં હર્ષની લાગણી અનુભવે છે.
આપનો
Hemant Panchal
Contact - 7567853006
Email - vaishwika@gmail.com
#IsanpurPublicSchool
twitter - @AmcIps2
ખુબ સરસ વિદાય સન્માન સમારંભ
ReplyDeleteસાહેબશ્રીને ખુબ ખુબ અભિનંદન.